ગઝલઃ સંભારશે
ગઝલ એટલે જીવનનું દર્દ ઘૂંટવાની એક અનોખી કલા. વેદનાનું આ એવું ગીત છે જેને માણ્યા પછી વેદના નહીં પણ હર્ષ થાય છે. નાદાન લોકો જ ગઝલને નિરાશાવાદ માનીને ગઝલની ઉપેક્ષા કરે છે. નાદાન અને મૂર્ખ માણસો જ ગઝલ જેવી મહાન કલાને જોવાને બદલે ગઝલકારનાં ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાય જોઈને ગઝલકારને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય છે.
અહીં વર્ષ ૧૯૯૮ માં લખેલી અને મારા ગઝલસંગ્રહ ‘ખૅરિયત’ માં પૃષ્ઠઃ ૭૨ ઉપર પ્રગટ થયેલી મારી આ સાધારણ ગઝલ રજૂ કરું છું.
-જલાલ મસ્તાન ‘જલાલ’ ગુજરાતી ગઝલકાર, અમદાવાદ, ગુજરાત. (98791 97686)
ગઝલઃ સંભારશે
દુઃશાસનને જઈને કોણ આ સમજાવશે-
કે કૃષ્ણ દ્રૌપદીનાં ચીર ચોક્કસ પૂરશે!
દગો પામ્યા છતાં અંતર મહીં વિશ્વાસ છેઃ
પ્રસારી હાથ ચોક્કસ તું મને બોલાવશે!
દુકાળ આવી પ્રજાનાં હાડકાં ચૂસી જશે;
ને રાજા મહેલના કોઠારને સંતાડશે!
સડક પર જિન્દગી પૂરી કરી છે એટલે-
મરણની બાદ રસ્તાઓ મને સંભારશે!
તમે ક્રૂસે જડાવી જેને વીંધી નાખશો-
એ માણસ પ્રેમના સામ્રાજ્યને ફેલાવશે!
જરૂરત આ ગઝલની ત્યારે સમજાશે ‘જલાલ’-
કે વારંવાર મારી યાદ જ્યારે આવશે!
[વર્ષઃ ૧૯૯૮]