ચારેતરફ જેને સજદા, ચારેતરફ જેને વંદન!-
રહે છે સદા એ જ ઓઝલ, દેતો નથી એ જ દર્શન!
ક્યાંથી હું પહોંચું કિનારે, ક્યાંથી મળે મુજને મંઝિલ?
પાણી ડુબાડે કિનારે, રસ્તા જ જ્યાં થાય દુશ્મન!
સાચી મુહોબ્બતમાં કાયમ જીરવી શક્યો નહિ ઉપેક્ષા,
તેથી દીવાનો બન્યો કે એનું ન સમજાય વર્તન.
અલ્લાહ, તું મારા ઘરની દીવાલ તૂટવા ન દેતો,
જેથી ન કોઈ નિહાળે ઘરમાં ગરીબીનું નર્તન.
ગમના દિવસને મેં એની સોગાત માની લીધા છે,
જેણે ખુશીને બનાવી, ગમ પણ છે એનું જ સર્જન.
સ્વતંત્ર રહીને ‘જલાલ’ આ જીવન જીવી ના શક્યો હું,
પરવશ રહી જિન્દગી ને કાવ્યોમાં છન્દોનું બંધન. (૨૦૦૩)
(‘ખૅરિયત’ પાનઃ ૧૪૮)