[આ ગઝલ રજૂ કરતાં પહેલાં અમદાવાદથી પ્રગટ થતા ગુજરાતી સામયિક 'અખંડ આનંદ' અને તેના કાવ્યવિભાગ 'કાવ્યકુંજ' ના સંપાદક શ્રી હરિકૄષ્ણ પાઠક (ખૂબ જ જાણીતા અને લબ્ધપ્રતિષ્ઠ ગઝલકાર) નો આભાર માની લઉં છું. 'અખંડ આનંદ' ના મે-૨૦૧૦ ના અંકમાં પાનઃ ૧૦ ઉપર મારી આ ગઝલને પ્રગટ કરવામાં આવી છે.]
બિચારા થયા નહીં : ગઝલ
ડૂબી રહ્યો’તો ત્યારે કિનારા થયા નહીં;
મિત્રો થયા એ કોઈ સહારા થયા નહીં!
જે ઘા ઝીલીને તૂટવા મંજૂર ના થયા-
એ પથ્થરો કદીય મિનારા થયા નહીં!
મારા રુદનની જાણ જમાનાને થઈ નહીં;
અશ્રુ હતાં કે જેના ફુવારા થયા નહીં!
નિઃસ્વાર્થ પ્રેમની તો અન્ય કેવી ખાતરી;
એના થયા અમે જે અમારા થયા નહીં!
ફૂટપાથ પર પડીને જે તારા ગણ્યા હતા-
એ ભાગ્યના સિતારા અમારા થયા નહીં!
ખોટી દિશાનો દોષ બધો દે નહીં મને;
તારાથી કેમ રમ્ય ઇશારા થયા નહીં?
ઇન્કાર એનો લેખ વિધિનો બની ગયો;
જેના લખ્યામાં કોઈ સુધારા થયા નહીં!
નહોતો કબૂલ પ્રેમ દયાપાત્ર થઈ જઈ!
તેથી અમે ‘જલાલ’ બિચારા થયા નહીં!
(જલાલ મસ્તાન ‘જલાલ’, સાત ઘર પાસે, તારાપુરઃ ૩૮૮૧૮૦, જિ. આણંદ
મો. ૯૮૭૯૧ ૯૭૬૮૬)
['અખંડ આનંદ' 'કાવ્યકુંજ' મે, ૨૦૧૦, પૄષ્ઠઃ ૧૦, સંપાદકઃ શ્રી હરિકૃષ્ણ પાઠક]
![[જલાલ મસ્તાન 'જલાલ', ગુજરાતી ગઝલકાર, અમદાવાદ. ૯૮૭૯૧૯૭૬૮૬]](http://jalalmastanjalal.files.wordpress.com/2010/05/jalal-2.jpg?w=300&h=200)